રવિશંકર મહારાજ
|

રવિશંકર મહારાજનું જીવનચરિત્ર: ગુજરાતના ઉદ્ઘાટક, ગાંધીવાદી

રવિશંકર વ્યાસ

રવિશંકર વ્યાસ, જે રવિશંકર મહારાજ તરીકે જાણીતા છે, તે ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક અને ગાંધીવાદી હતા.


જીવન

રવિશંકર વ્યાસનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૪ના રોજ મહાશિવરાત્રીના દિવસે, રાધુ ગામ (હાલમાં ખેડા જિલ્લો, ગુજરાત, ભારત) ખાતે એક વડારા બ્રાહ્મણ ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ પિતમ્બર શિવરામ વ્યાસ અને માતાનું નામ નથીબા હતું. તેમનો પરિવાર મૂળ મહેમદાવાદ નજીક આવેલા સરસવણી ગામનો વતની હતો. તેમણે તેમના માતાપિતાને ખેતીના કામમાં મદદ કરવા માટે છઠ્ઠા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો. તેમણે સુરજબા સાથે લગ્ન કર્યા હતા. જ્યારે તેઓ ૧૯ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું અને ૨૨ વર્ષની વયે તેમના માતાનું અવસાન થયું.

તેઓ આર્ય સમાજની ફિલોસોફીથી પ્રભાવિત થયા હતા. તેઓ ૧૯૧૫માં મહાત્મા ગાંધીને મળ્યા અને તેમની સ્વતંત્રતા અને સામાજિક સક્રિયતામાં જોડાયા. તેઓ ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના સૌથી વહેલા અને નજીકના સહયોગીઓમાંના એક હતા, અને દરબાર ગોપાલદાસ દેસાઈ, નરહરી પરીખ અને મોહનલાલ પંડ્યાની સાથે ૧૯૨૦ અને ૧૯૩૦ના દાયકામાં ગુજરાતમાં રાષ્ટ્રવાદી વિપ્લવોના મુખ્ય આયોજક હતા. તેમણે વર્ષો સુધી મધ્ય ગુજરાતના દરિયાકાંઠાના બારૈયા કોળી અને પાટણવાડિયા કોળીઓના પુનર્વસન માટે કામ કર્યું હતું.

તેમણે ૧૯૨૦માં સુણાવ ગામમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી. તેમણે પત્નીની ઈચ્છા વિરુદ્ધ તેમની પૈતૃક સંપત્તિ પરના હક્કો છોડી દીધા અને ૧૯૨૧માં ભારતીય સ્વતંત્રતા ચળવળમાં જોડાયા. તેમણે ૧૯૨૩માં બોરસદ સત્યાગ્રહમાં ભાગ લીધો અને ‘હૈડિયા વેરો’ (Haidiya Tax) સામે વિરોધ કર્યો. તેમણે ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહમાં પણ ભાગ લીધો અને બ્રિટિશ સત્તાવાળાઓ દ્વારા છ મહિના માટે તેમને જેલમાં પૂરવામાં આવ્યા. ૧૯૨૭માં પૂર રાહત કાર્યમાં ભાગ લીધો જેનાથી તેમને ઓળખ મળી. તેઓ ૧૯૩૦માં નમક સત્યાગ્રહમાં ગાંધીજી સાથે જોડાયા અને બે વર્ષ માટે જેલમાં પૂરવામાં આવ્યા. ૧૯૪૨માં, તેમણે હિન્દ છોડો આંદોલનમાં પણ ભાગ લીધો અને અમદાવાદમાં કોમી હિંસાને શાંત પાડવાનો પ્રયાસ પણ કર્યો.

૧૯૪૭માં ભારતની આઝાદી પછી, તેમણે પોતાનું જીવન સમાજ સેવા માટે સમર્પિત કર્યું. તેઓ વિનોબા ભાવેની ભૂદાન ચળવળમાં જોડાયા અને ૧૯૫૫ થી ૧૯૫૮ની વચ્ચે ૬૦૦૦ કિલોમીટરની મુસાફરી કરી. ૧૯૬૦ના દાયકામાં, તેમણે સર્વોદય ચળવળનું આયોજન કર્યું અને તેને સમર્થન આપ્યું.

૧ મે ૧૯૬૦ના રોજ જ્યારે ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારે તેનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજે કર્યું હતું. તેમણે ૧૯૭૫માં લાદવામાં આવેલી કટોકટીનો પણ વિરોધ કર્યો હતો. તેમના અવસાન સુધી, ગુજરાતના દરેક નવા નિયુક્ત મુખ્યમંત્રી શપથ લીધા પછી તેમના આશીર્વાદ લેવા જાય તેવી પરંપરા હતી.

૧ જુલાઈ ૧૯૮૪ના રોજ બોરસદ, ગુજરાતમાં તેમનું અવસાન થયું. તેમને સમર્પિત સ્મારક બોચાસણની વલ્લભ વિદ્યાલય, અધ્યાપન મંદિર ખાતે આવેલું છે.

રવિશંકર મહારાજ Video


કાર્યો

તેમણે શિક્ષણ, ગ્રામીણ પુનર્નિર્માણ અને કોલકાતા વિશે લખ્યું છે.


સન્માન

ભારત સરકારે ૧૯૮૪માં તેમના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તેમના સન્માનમાં સમાજ સેવા માટે રવિશંકર મહારાજ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી છે, જેની રકમ ₹ ૧ લાખ છે.


લોકપ્રિય સંસ્કૃતિમાં

ઝવેરચંદ મેઘાણીએ આદિવાસીઓ વચ્ચેના તેમના સામાજિક કાર્ય દરમિયાનના તેમના અનુભવોના આધારે માણસાઈના દીવા લખ્યું છે. પન્નાલાલ પટેલે પણ તેમના પર જીવનચરિત્રાત્મક નવલકથા જેણે જીવી જાણ્યું (૧૯૮૪) લખી છે.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *